સુરેન્દ્રનગર: શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દ્વારા પેટના રોગોનો નિઃશુલ્ક કેમ્પ સંપન્ન, ૧૩૬ દર્દીઓએ લીધો લાભ
સુરેન્દ્રનગર : પંથકના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં પેટના રોગોનો ભવ્ય 'સેવા યજ્ઞ' યોજાયો હતો. આ કેમ્પમાં સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાંથી આશરે ૧૩૬ દર્દીઓએ નિષ્ણાત સારવારનો લાભ લીધો હતો.
સુરેન્દ્રનગરની આ એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં ફૂલ-ટાઈમ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટની સેવા ઉપલબ્ધ છે. મુંબઈની પ્રખ્યાત લોકમાન્ય તિલક મેડિકલ કોલેજથી DM થયેલા અને જાપાનથી ફેલોશિપ પ્રાપ્ત ડૉ. ચિંતન ટેલરના નેતૃત્વમાં આ કેમ્પનું આયોજન કરાયું હતું.
સામાન્ય રીતે ₹૬,૦૦૦ના ખર્ચે થતો લીવરનો ફાઈબ્રોસ્કેન રિપોર્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સોનોગ્રાફી, સીટી સ્કેન, એન્ડોસ્કોપી અને લોહીની ખાસ તપાસો અત્યંત રાહતદરે પૂરી પાડવામાં આવી હતી. તેમજ અન્નનળી, આંતરડા, લિવર અને સ્વાદુપિંડના જટિલ રોગોનું સ્થળ પર જ નિદાન કરાયું હતું.
કેમ્પ દરમિયાન બે જટિલ કિસ્સાઓમાં તબીબોએ જીવતદાન આપનારી કામગીરી કરી હતી જેમાં ખોરાક ગળવામાં તકલીફ અનુભવતા ૪૫ વર્ષીય દર્દીનું તાત્કાલિક એન્ડોસ્કોપી દ્વારા 'ડાયલેશન' કરી રાહત અપાઈ હતી. તેમજ અન્ય ૬૫ વર્ષીય વૃદ્ધની અન્નનળીની નસો ફૂલી જવાની ગંભીર સમસ્યામાં 'બેન્ડિંગ'ની પ્રક્રિયા કરી સંભવિત બ્લીડિંગ અટકાવવામાં આવ્યું હતું.
અત્યાધુનિક સાધનો અને શિસ્તબદ્ધ સ્ટાફ સાથે શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ હવે સુરેન્દ્રનગરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. સંસ્થા દ્વારા આગામી સમયમાં પણ આવા જનસેવાના કાર્યો ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.



Comments
Post a Comment