સુરેન્દ્રનગર સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું
સુરેન્દ્રનગર: આજે સમગ્ર દેશમાં સંત શિરોમણી રવિદાસજી મહારાજની જન્મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે સામાજિક સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસર નિમિત્તે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે દર્દીઓની સેવા અને સ્વાસ્થ્યની કામના સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ માત્ર ભેટ જ અર્પણ નહોતી કરી, પરંતુ સંત રવિદાસજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને તમામ દર્દીઓ જલ્દીથી સાજા થાય અને તેમનું સ્વાસ્થ્ય પુનઃ સારું બને તે માટે અંતરપૂર્વક પ્રાર્થના પણ કરી હતી.
આ સેવાકીય પ્રવૃત્તિમાં સુરેન્દ્રનગરના અનેક અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મુખ્યત્વે મહેન્દ્ર પરમાર (સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ), ઝરણાબેન જાની (જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ), વિનોદભાઈ મકવાણા (શહેર કોંગ્રેસ મહામંત્રી), નરેશભાઈ વાળા (સામાજિક કાર્યકર્તા), ઋત્વીકાબેન (સામાજિક અગ્રણી), વી. ટી. વાઘેલા સાહેબ (એડવોકેટ) આ ઉપરાંત, શહેરના અન્ય સામાજિક આગેવાનો અને સીનીઅર સિટીઝનોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી સંત રવિદાસજીને વંદન કર્યા હતા.આ પ્રકારના આયોજનથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં પણ હૂંફ અને ખુશીની લાગણી જોવા મળી હતી.


Comments
Post a Comment