સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના ‘નમો કમલમ’ કાર્યાલય ખાતે ‘જી રામજી’ યોજના અંગે જનજાગૃતિ લાવવા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કાર્યક્રમ સુરેન્દ્રનગરના લોકસભા સાંસદ ચંદુભાઈ સિહોરાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને ‘જી રામજી’ બિલના ફાયદાઓ અંગે વિસ્તૃત સમજ આપવાનો હતો.
સાંસદ ચંદુભાઈ સિહોરાએ જણાવ્યું કે ‘જી રામજી’ યોજના એ મનરેગાની આધુનિક અને વિસ્તૃત આવૃત્તિ છે, જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં થતી કામગીરીમાં પારદર્શિતા લાવવાનો છે. હવે તમામ કામગીરી ડિજિટલ માધ્યમથી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે, જેના કારણે વચેટિયાઓની ભૂમિકા ઓછી થશે અને ભ્રષ્ટાચાર પર અસરકારક રીતે નિયંત્રણ લાવી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ શ્રમિકોને મનરેગા હેઠળ વર્ષમાં 100 દિવસની રોજગારી મળતી હતી, જ્યારે ‘જી રામજી’ યોજના અમલમાં આવ્યા બાદ આ મર્યાદા વધારીને 125 દિવસ કરવામાં આવી છે. આ વધારાથી ગ્રામીણ પરિવારોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની આશા છે.
પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના અગ્રણી નેતાઓ હાર્દિકભાઈ ટમાલીયા અને વિપુલભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોજનાના ટેકનિકલ પાસાઓ અને સ્થાનિક સ્તરે તેના અમલીકરણ અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના અંતે પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાંસદે મૌલિકતા અને સ્પષ્ટતા સાથે આપ્યા હતા. તેમણે વિશ્વાસ અપાવ્યો કે ‘જી રામજી’ યોજના અંતર્ગત તમામ ફંડ અને કામગીરીનું મોનિટરિંગ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા થશે, જેથી ગેરરીતિ અટકાવી શકાય.
આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો કે સરકારની યોજનાઓ હવે માત્ર કાગળ પર નહીં, પણ ટેકનોલોજીના સહારે સીધી જનતાના હિતમાં અમલમાં લાવવામાં આવશે.

0 Comments